મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

 મહુડો એટલે સમગ્ર ભારતના આદિવાસીઓનું કલ્પવૃક્ષ

નીરવ જોશી ,હિંમતનગર / ચંદ્રદીપ ગામિત, વાસદા (Text/Photos)

(M-7838880134/9106814540)

છેલ્લા ત્રણ વર્ષથી જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી હું મારા જિલ્લામાં રહું છું એટલે કે સાબરકાંઠામાં રહું છું અને આ જિલ્લામાં જે જે ખાસિયતો વન વૃક્ષો અને વન સંપદા છે એની પણ નોંધ કરું છું. તો આજે વાત કરું… ખાસ કરીને સાબરકાંઠામાં વસતા  આદિવાસી તેમજ ખેડૂત સમુદાયની અને તેમના વૃક્ષ ગણાતા મહુડાના વૃક્ષની કે જેને આદિવાસીઓ અને બીજા ખેડૂત વૃક્ષ પ્રેમીઓ પોતાના જીવનનું અનમોલ ખજાનો ગણે છે !!!

આવા જ મહુડાના વૃક્ષને આ વખતે માણવાનું અને એનું લાભ લેવાનું મને મોકો મળ્યો છે… તો મારા વિચારો મારી વેબસાઈટના વાચકો સમક્ષ રજુ કરું છું…અને એમાં બીજા કેટલાક આદિવાસી અને એ વિસ્તારના વૃક્ષ પ્રેમી એટલે કે મહુડા પ્રેમીના વિચારોને પણ સંકલિત સાથે રજુ કરું છું.

હમણાં ત્રણ દિવસ પહેલા હું અમારા હિંમતનગર પાસે આવેલા રાજપુર ગામ પાસે આવેલા ચોટીલા મહાદેવ મંદિરના બ્રહ્મલીન હરગોવિંદ પુરી મહારાજના સોળસી ભંડારામાં ગયો હતો ત્યાં મંદિર પાસે આવેલા ચોટીલા કંપા ના ખેડૂતના ઘરે અને એની આંગણામાં નજીકના ખેતરમાં આવેલા મહુડાના ઝાડ પર મારું ધ્યાન ગયું.. એ ભાઈ ધાર્મિક સ્વભાવના હતા એટલે મને પ્રેમથી આવકારીને કહ્યું કે નિરવ ભાઈ આવીને બેસો.. ત્યારબાદ મેં એમની જોડે ચર્ચા કરી અને મહુડા ના ફૂલ અને મહુડા ના વૃક્ષના… એમના થી થતા એના લાભોને પણ જાણ્યા.. એમના ધર્મપત્નીએ મહુડા ના ફૂલોને મોટા મોટા તપેલા અને તગારા જેવા વાસણમાં કાઢ્યા હતા. મને બે કિલો આપ્યા ને કહ્યું કે આને સુકવી અને તપાવીને રાખજો અને મગફળી સાથે લાડુ બનાવીને શિયાળામાં ખાજો! ત્રણ દિવસથી મારા ધાબા ઉપર હું ફૂલોની પથારી કરીને મહુડા ના ફૂલોને સુકવું છું અને હવે હું જાણે આખા દુનિયાનો સૌથી મોટો મહુડા પ્રેમી બની ગયો એવું મને સતત લાગી રહ્યું છે!!😀😇😍

વાંસદા-ડાંગ: સોનાનું વૃક્ષ મહુડો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ અને જીવાદોરી સમાન છે.

સોનાનાં વૃક્ષો તરીકે ઈતિહાસ માં જાણીતાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે કલ્પવૃક્ષ સમાન છે.માર્ચ મહિનામાં મહુડો સોળે કલાએ ખીલી ઉઠે છે એટલે તમામ કવિઓ લેખકો એને સોનાનું વૃક્ષ કહે છે. મહુડા ના વૃક્ષ પર આ સમયે મહુડા ના ફૂલ ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે. અને મહુડા લાગે છે. આ મહુડાનો ઉપયોગ ઔષધિ તરીકે,વિવિધ દવાઓ બનવવા,દેશી દારૂ બનાવવા તથા આરોગ્ય વર્ધક તરીકે થાય છે.શિયાળામાં મહુડા નું ગોળ સાથે સેવન કરવાથી શરીર ને ખૂબ જ ફાયદો થાય છે. ઉનાળામાં મહુડાના વૃક્ષ પર ડોળી નામનું ફળ લાગે છે. આ ડોળી ને ફોડીને એને સુકવવામાં આવે છે તયારબાદ એનું પિલાણ કરવામાં આવે છે. આ ડોળી માંથી તેલ પ્રાપ્ત થાય છે.જે આરોગ્ય માટે ખૂબ જ સારું હોય છે. આદિવાસીઓ મોટેભાગે આ જ તેલનો ઉપયોગ કરે છે પોતાની રસોઈ બનાવવા માટે. આદિવાસી મહુડા વીણીને એને વેચી દે છે. જેથી એમને એમનું જીવન નિર્વાહ કરવા માટે આવક પ્રાપ્ત થાય છે. તેથી આદિવાસી ઓ માટે મહુડાનું વૃક્ષ જીવાદોરી સમાન છે.( કિરણ પાડવી PI)

મહુડો એ એક ભારતીય ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે, જે મેદાની પ્રદેશ અને જંગલોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. મહુડાનું વૈજ્ઞાનિક નામ મધુકા લોંજીફોલિઆ છે. મહુડો ઝડપથી વૃદ્ધિ પામતું વૃક્ષ છે, એના પાંદડાંઓ સામાન્ય રીતે આખા વર્ષ દરમિયાન લીલાંછમ રહેતાં હોય છે, અને આ વૃક્ષ વૈજ્ઞાનિક વર્ગીકરણ પ્રમાણે સપોટેસી કુળમાં આવે છે. આ ઝાડ શુષ્ક પર્યાવરણને અનુકૂળ ઢળી ગયું છે. મધ્ય ભારતના ઉષ્ણકટિબંધીય પાનખરના વનોમાં જોવા મળતાં વૃક્ષોમાંનું એક મુખ્ય ઝાડ છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *