સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય

 સૌરાષ્ટ્ર તમિલ સંગમ એટલે સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય

Desk, www.avspost.com

સૌરાષ્ટ્ર તમિલ સંગમ : સૌરાષ્ટ્રવાસી અને તમિલવાસીઓનુ અદભૂત સાયુજ્ય – નિલેશ પંડ્યા

¤ સોમનાથ,પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાશે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’

¤ બારસો વર્ષ પૂર્વે પ્રભાસ-સોમનાથ ક્ષેત્રના હજારો બંધુઓ-ભગિનીઓ તમિલનાડુ હિજરત કરી ગયા હતા

¤ ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવા અનેરા અવસરનું સાક્ષી બનશે આખું વિશ્વ

¤ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ થકી સૌરાષ્ટ્ર તમિલ સમાજનું પૈતૃકવતન સાથે જોડાણ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પંથકના હજારો બંધુઓ-ભગિનીઓ લગભગ બારસો વર્ષ પૂર્વે સપ્તમ જ્યોતિર્લિંગ તમિલનાડુના રામેશ્વરમ્ નજીક મદુરાઈમાં જઈને વસે. સૌરાષ્ટ્ર-ગુજરાતનું એવરગ્રીન લોકનૃત્ય રાસ-ગરબા જેવું જ તમિલનાડુમાં ‘કુમ્મી નૃત્ય’ સ્વરૂપે પ્રસ્તુત થાય છે. સૌરાષ્ટ્રમાં મહાભારતકાલીન પાંડવોના સ્થાનો, પદચિહ્નોની જેમ તમિલનાડુના મહાબલીપુરમમાં પણ પાંડવોના નામ પરથી પાંડવરથ જેવું અદભૂત સ્થાન હોય. ભારતમાં ત્રણ જ અખાત, જેમાંથી બે, સૌરાષ્ટ્રના પડોશમાં કચ્છનો અખાત અને ગુજરાતમાં ખંભાતનો એટલે ગુજરાતમાં છે અને ત્રીજો તમિલનાડુમાં મન્નારનો અખાત આવેલો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતને તામિલનાડુ સાથે અદભૂત લગાવ છે. સામ્ય અપણ અજબનું છે. આના જવાબો મળવાના શરુ થઇ ગયા છે, અને તા.૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન ઉજવાનારા ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ થકી હજુ વધુ જવાબો ભવિષ્યમાં મળશે.

‘હે મુને ઢોલે રમવા મેલ્ય મારા સાયબા, ઝાલાવાડી ઢોલ જાણે ઝાંઝર વાગે’ જેવું લોકગીત ગવાય ને ઢોલ પર ધડામ કરતી દાંડી પડે અને ગુજરાતીઓના પગ ઠેકડો લેવા માંડે કેમ કે, રાસ-ગરબા આપણું અતિપ્રિય લોકનૃત્ય છે. આપણે ભલે શહેરોમાં જન્મ્યા હોઈએ, શહેરમાં વસતા હોઈએ, અરે, ગુજરાત બહાર કે દેશ બહાર હોઈએ તોય આપણા લોકગીત, ધોળ, લગ્નગીતો, દુહા-છંદ, રાસ-ગરબા, ભવાઈ, વ્રતો અને ઉત્સવો આપણને હૈયે વસેલા હોય છે. આની પાચાળનું એક જ કારણ એ છે કે, આપણા દાદા-દાદી, નાના-નાની ક્યાંક ને ક્યાંક આ બધા સાંસ્કૃતિક વારસાના સાક્ષી કે વાહક બન્યા હોય છે. આ આપણા લોહીના સંસ્કાર છે ને એટલે જ તે આપણને ખેંચે છે.

ગુજરાતના કોઈ ગામડાંમાં આપણું નાનકડું એવું પૈતૃક મકાન હોય, ભલેને એ વર્ષોથી બંધ પડ્યું હોય, નળિયાં ઉડી ગયાં હોય, ભીંતડાં જ ઉભાં હોય, અંદર બાવળ અને બોરડી ઊગી ગયા હોય તોય એ જગ્યાએ જતાં વેંત જ આપણને પોતિકાપણું લાગે છે. કારણ કે આપણા પરદાદા એ ઘરમાં જન્મ્યા હોય, રહ્યા હોય એટલે એ ઘરની, એ ગામની માટી આપણને ખુશ્બુદાર લાગે છે. તામિલનાડુ સ્થિત લાખો સૌરાષ્ટ્રીયનો માટે આવો જ આકર્ષક, ધરાની ધૂળ માથે ચડાવવાનો અવસર આવ્યો છે.

ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે સને ૨૦૦૫-૨૦૦૬માં તેમણે મન બનાવી લીધું હતું કે, બારસો જેટલાં વર્ષોથી સૌરાષ્ટ્રમાંથી મહાહિજરત કરીને તમિલનાડુમાં સ્થાયી થયેલા ભાઈ-બહેનોને પુન: સૌરાષ્ટ્ર સાથે જોડવા છે. આ માટે તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તત્કાલીન સૂત્રધારોને આ કામ સોંપી દીધું અને એ દિશામાં અહર્નિશ મથામણ શરુ થઇ. એના પરિપાક રૂપે હવે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મુદ્રાલેખને અમલી બનાવી આગામી તા. ૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ની ભવ્યાતિભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ભગવાન સોમનાથની પાવન ધરા છે મુખ્ય સંગમસ્થાન. ઉપરાંત પોરબંદર, દ્વારકા, રાજકોટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ બનશે સંગમસ્થળો.
આટલા બધા સૌરાષ્ટ્રવાસીઓ કેમ છેક દક્ષિણ ભારતના કાંઠે એટલે કે લગભગ ૨૩૦૦ કિમી દૂર જઈને વસ્યા ? એના પર ડોકિયું કરીએ. સને ૧૦૨૪માં સોમનાથ પર મહંમદ ગઝનીએ આક્રમણ કર્યું ત્યારે અને એ પછી સને ૧૩૦૦માં અલ્લાઉદ્દીન ખિલજીની આગેવાનીમાં વધુ એક આક્રમણ થયું ત્યારે હજારો સૌરાષ્ટ્રવાસીઓ પ્રભાસપાટણથી ખંભાત, ભરૂચ અને સુરતના દરિયાઈ માર્ગે પ્રારંભે મહારાષ્ટ્રમાં, એ પછી વિજયનગર સામ્રાજ્યનું આમંત્રણ મળતા ત્યાં અને બાદમાં તમિલનાડુના મદુરાઈના રાજવંશે આશરો આપતાં લગભગ ૧૫૦૦ની સાલથી ત્યાં જઈને વસ્યા. વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં, પરરાજ્યમાં કે પરદેશમાં વસે તો થોડી ભાષા, સભ્યતા, રિવાજમાં પરિવર્તન આવે એ સ્વાભાવિક છે પણ પોતાની સંસ્કૃતિ, અસ્મિતા અને કળામાં બહુ બદલાવ આવતો નથી. સૌરાષ્ટ્ર તમિલ સમાજ આજેય સુરતની કલાકારીગીરી સાથે અતૂટ બંધન બાંધીને બેઠો છે. સુરતની જેમ ત્યાં પણ ‘ઝરીવાલા’ પ્રખ્યાત છે.
ગુજરાતનો ગરબો વિશ્વપ્રસિદ્ધ છે એ ખરું પણ તમિલનાડુનું ‘કુમ્મી’ નૃત્ય આપણા ગરબાની પ્રતિકૃતિ જ જોઈ લો! ‘કુમ્મી’માં મહિલાઓ રંગબેરંગી સાડી પરિધાન કરી, સજીધજીને ગોળાકારે ગોઠવાઈ જાય છે અને તાળીઓ પાડીને કુમ્મી સોન્ગ્સ ગાય છે. આપણે જેમ માતાજીના ગરબા અને લોકગીતો ગાઈએ છીએ બિલ્કુલ એમ જ કુમ્મી સોંગ્સ ગવાય છે.
‘કરગટ્ટમ’ નૃત્યમાં માથે ધાતુનું કે માટીનું વાસણ મુકીને એ લોકો નૃત્ય કરે છે. જે દ્રશ્ય આપણને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રિ વખતે માથે ગરબા લઈને ઘેર-ઘેર જતી ને ગાતી ‘એકના ના એકવીસ રે ગોરી ગરબો આવ્યો’વાળી બાલિકાઓની યાદ અપાવી જાય છે. ત્યાં ‘કાવડી અટ્ટમ’ નૃત્ય પુરુષો કરે છે જેમ આપણા ગામડાંમાં નવરાત્રિ વખતે પુરુષો ગરબી લે છે અથવા કાનગોપી રમે છે.
સૌરાષ્ટ્ર તમિલનાડુ વચ્ચે વધુ એક સામ્યતા એ છે કે, સૌરાષ્ટ્રમાં ઠેરઠેર પાંડવો આવ્યાની કથાઓ-દંતકથાઓ મળે છે. ચોટીલા નજીકના થાનગઢ પાસે ત્રિનેત્રેશ્વરમાં અર્જુને દ્રૌપદી સ્વયંવર વખતે મત્સ્યવેધ કર્યાની કથા સુપ્રસિદ્ધ છે. ઉપલેટા નજીકના પાટણવાવ ગામના ઓસમ પર્વત પર પાંડવોના ચિહ્નો જેવાં કે ભીમની થાળી, ભીમ તળાવ, હેડંબાનો હીંચકો અને હેડંબાવન વગેરેની દંતકથા જાણીતી છે. આવી જ પાંડવોની યાદ તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી ૬૦ કિમી દૂર પલ્લવ રાજાઓના તત્કાલીન પાટનગર મહાબલીપુરમમાં ‘પાંડવરથ’ નામે મળે છે જે ત્યાંના લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પલ્લવ રાજાઓએ એક ચટ્ટાન કોતરીને પાંડવો અને દ્રૌપદીના નામ પરથી રથ બનાવ્યા છે.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની નેતૃત્ત્વમાં તા.૧૭થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન યોજાનારો ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ સતરંગી બની બની રહેશે. એમાં ચિત્રકલા, પરફોર્મિંગ આર્ટ્સ, સંગીત, નાટક, સાહિત્ય, સેન્ડ આર્ટ, પરંપરિત લોકગાયન, હસ્તકળા વગેરે વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર ઉજાગર થશે. શિલ્પ, ભાષા, હેરિટેજ, શોપિંગ ફેસ્ટીવલ, કાપડ અને હેન્ડલૂમ, બિઝનેસ મીટ, પ્રદર્શન, રમત-ગમત, ગોષ્ઠિ, ગુજરાતી-તમિલ ભાષા પર ફન વર્કશોપ અને વાનગી સ્પર્ધા જેવા અલભ્ય આકર્ષણો સૌના મન મોહી લેશે.

સૌરાષ્ટ્ર તમિલ સંગમ થકી અનેક નવી દિશાઓ ઉઘડશે. બન્ને પ્રદેશો વચ્ચેની બરસો વર્ષ જૂની યાદો આળસ મરડીને ઊભી થશે. આવતાં સેંકડો વર્ષો સુધી બન્ને વચ્ચેના અતૂટ સંબંધોના નવા પ્રકરણો દેશ અને દુનિયા જોવાની છે. તમિલનાડુ ના સૌરાષ્ટ્રીયનો માટે સૌરાષ્ટ્ર બનશે ‘પિયર’ તો સૌરાષ્ટ્રવાસીઓ માટે તમિલનાડુ બનશે એમનુ ‘બીજું ઘર’. સૌરાષ્ટ્ર તમિલ સંગમ અંગે મદુરાઈના સૌરાષ્ટ્રીયન જયચંદ્રનજીએ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં કહ્યું છે કે, ‘હજાર વર્ષ પછી કોઈએ સૌરાષ્ટ્ર તમિલ સંબંધો વિશે વિચાર્યું છે.’ વિશ્વભરને આશ્ચર્યચકિત કરી દેનારી આ એક દુર્લભ ઘટના એટલે ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’માં સહભાગી બનવા સૌ થનગની રહ્યાં હોય એ સ્વાભાવિક વાત છે. આપણા જ બાંધવોને કાઠિયાવાડી પરંપરાથી ‘એઇ…આવો…બાપલા…રામ…રામ…’કહેવાના અવસરની બધા કાગ ડોળે રાહ જોઇ રહ્યાં છે. (લેખક જાણિતા કોલમિસ્ટ અને ચિંતક છે.)
******

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *