જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

 જેસીંગ બાવજી નો જન્મ શતાબ્દી મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

નીરવ જોશી ,હિંમતનગર  (M-7838880134)

ઈડર તાલુકાના ગોધમજી ગામે આત્મજ્ઞાની જેસંગબાજીની જન્મ શતાબ્દી વરસની ઉજવણી દરમિયાન આખુ ગામ અને એની આજુબાજુના 40 ગામના સત્સંગીઓ ભેગા થયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી જેસંગભાઈજીના સત્સંગીઓએ ગોધમજી ગામે  તેમના સમાધિ મંદિર અને તેની આસપાસ નો પરિસર નો ખુબ સુંદર વિકાસ કર્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી ભક્તોની ભાવના અને પરિણામે 2022 માં 100 વર્ષ પૂર્ણ થવા આવતા ગોધમજી ના જગ પ્રસિદ્ધ સંત શ્રી જેસિંગ બાવજી કે જેસંગ ગુરુજી  તરીકે ઓળખાતા આત્મજ્ઞાનની સત્પુરુષની આજરોજ જ્ઞાનપાલખી સમગ્ર ગામમાં ફેરવીને જન્મ શતાબ્દી વરસની ભારે શ્રદ્ધા અને ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઈ રહી છે આજના દિવસે જ માગશરના સાતમે જેસિંગ બાવજી ને જ્ઞાનની ઉપલબ્ધિ થઈ હતી અને તે જગ્યાએ એક સ્મૃતિ મંદિર પણ બનાવવામાં આવ્યું છે.

ગોધમજીના જેસીંગ બાવજી આત્મ સાક્ષાત્કારી બ્રહ્મપુરૂષ હતા. એમના જીવનનો બોધપાઠ ગામડાના અભણ અને સાવ દેશી ખેડૂતોને પણ એકદમ હૃદયમાં ઉતરી જતો હતો.

તેઓ સાક્ષાત જ્ઞાની પુરુષ તરીકે પોતાના સંસારી જીવનમાં જ ખૂબ જ પ્રભાવશાળી રીતે ગોધમજીમાં સ્થાયી થયા અને ખેડૂત તરીકે જીવન જીવ્યા હતા… એટલું જ નહીં એમના જીવનમાં સાક્ષાત્કાર બાદ જ્ઞાની પુરુષ તરીકે તેમણે શ્રીમદ રાજચંદ્રનો દિવ્ય જ્ઞાન અમૃત એમના શ્રી મુખેથી ગામડાના ખાસ કરીને ઇડર તાલુકાના ગામડાઓમાં પ્રચાર પ્રસાર કર્યો હતો.

એમની પહેલા થયેલા રામજીબાપા લક્ષ્મીપુરા અને વસઈના નાથુ બાપા આ ત્રણેય આત્મજ્ઞાનની સંતોએ સમગ્ર ઈડર તાલુકામાં જ્ઞાનનો તેમજ આત્મજ્ઞાનની સત્સંગની ધૂણી ધખાવી હતી અને હજારો ખેડૂતોના દિલમાં આત્મજ્ઞાનનો દીવો પ્રજવલિત કર્યો હતો.

આજે એના પરિણામે સમગ્ર પંથક ખાસ કરીને ઇડર સ્ટેટ નું રાજ્ય ખૂબ જ લાભાનવિત થયું હતું. જેસીંગ બાવજી ને અબોલ જીવો પ્રત્યે ખૂબ જ અનુકંપા અને કરુણા હતી. પક્ષીઓની ચણ અને વગડામાં ચરતી ગાયો અન્ય ઢોરો માટે હવાડા બનાવવાનો આદેશ એમણે એમના ભક્તોને આપ્યો છે અને એમના નામે ચાલતી સંસ્થા ગોધમજીમાં એક ખૂબ મોટી હોસ્પિટલ પણ ચલાવે છે તેમ જ સમાધિ મંદિર પણ ખૂબ જ સુંદર રીતે વિકાસ કર્યો છે. આત્મજ્ઞાનની ખોજમાં આવનારા ભક્તો માટે ઉતારાની વ્યવસ્થા પણ છેલ્લા 9 -10 વર્ષમાં એક ધર્મશાળા રૂપે બનાવવામાં આવી છે. જેમ નડિયાદના પૂજ્ય મોટા હતા એવા જ આત્મજ્ઞાની સંત શ્રી જેસિંગ બાવજી સમગ્ર ઈડર પંથકમાં અને સાબરકાંઠા પંથકમાં ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી આદર પામ્યા છે.

આવા જ્ઞાની પુરુષ – સદગુરુ જેસીંગ બાવજીની જન્મ શતાબ્દી ની ઉજવણી નો 15 ડિસેમ્બર આખરી દિવસ છે. એમને માગશર મહિનાના સાતમના રોજ જ્ઞાન – આત્મસાક્ષાત્કાર થયો હતો અને આ વર્ષે તેમનું શતાબ્દી વરસ છે . આમ સોનામાં સુગંધ ભળી છે ! હજારો ભક્તોએ ગોધમજી આવીને દિવ્ય જ્ઞાન સત્સંગ સુધાનો અને જ્ઞાનગંગા નો લાભ લીધો છે. દર ગુરુવારે જેસીંગ બાવજી ના ઘરે સત્સંગનો લાભ લેવા ભક્તો ગુજરાત તેમજ દુનિયામાંથી પણ આવે છે તેમજ ગુજરાતના સંત તરીકે કે આત્મજ્ઞાન ધારણ કરનારા પુરુષ તરીકે તેમનો પરિચય ખુદ  અનુભવે છે! એક ભક્ત ના જાત અનુભવ પ્રમાણે જેસીંગ બાવજી અમને ભક્તોને કહેતા કે જેણે ભગવાનને પામ્યા છે તે ક્યારે દેહમાં હોતા જ નથી! દેહ હોય કે ન હોય તે તેમના ભક્તો માટે હંમેશા હાજર જ હોય છે. જેસીંગ ગુરુજી ના હાજરીના આવા અનેક કિસ્સાઓ હજારો ભક્તોને આજે પણ અનુભવવા મળે છે!

ત્રણ દિવસ ચાલેલા જન્મ શતાબ્દી મહોત્સવમાં અનેક સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં બાવજીની સત્સંગ વાણી નું સ્ટોલ તેમજ ચિત્ર પ્રદર્શન ખૂબ આકર્ષક હતું .બાવજીના જીવનનો પરિચય કરાવતું સચિત્ર પ્રદર્શન ખૂબ જ અનોખું હતું ! એ જમાનામાં કઈ રીતે સત્પુરુષ ગામડાના લોકોને સત્સંગ કરાવતા એનો પણ અનુભવ દર્શકોને થતો હતો …સાથે સાથે હજારો ભક્તોને પ્રસાદીનો લાભ પણ આ છેલ્લા ત્રણ દિવસના મહોત્સવમાં સ્વયંસેવકોની સેવાના પરિણામે મળ્યો હતો અને આશરે ૧૦ થી ૧૨ હજાર જેટલા ભક્તોએ પ્રસાદનો લાભ ત્રણ દિવસ સુધી લીધો હતો.

રામ રામ… જય શ્રી રામ!

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *