ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ
આજનો દિવસ – પ્રકરણ ૧૧
૧૩/૦૯/૨૦૨૬
વાંચન સમય = પાંચ મિનિટ
૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત શીખી ના શક્યા પણ તેમની આંઠ વર્ષની દીકરી આ સંગીત શિક્ષક પાસે સંગીતના પાઠ શીખવા લાગી.
આ દીકરી એટલે ભારતીય શાસ્ત્રીય સંગીત ગાયકીનું પરમ શિખર સ્વરયોગીની ડો. પ્રભા અત્રે. આજે તેમની ૯૫ મી જન્મજયંતિ છે. (જન્મ તારીખ = ૧૩/૦૯/૧૯૩૨). તેમણે B.Sc, LLB અને પછી શાસ્ત્રીય સંગીતમાં ‘સરગમ’ના ઉપયોગ પર Phd કર્યું. વિજ્ઞાન, શિક્ષણ, કાયદો, સંગીત, અભિનય, ગાયકી, લેખન, દસ્તાવેજીકરણ અને સંશોધન એમ નવ ક્ષેત્રે અદભુત પ્રદાન બદલ ભારત સરકારે તેમને ત્રણેય પદ્મ એવોર્ડ – પદ્મશ્રી (૧૯૯૦), પદ્મભૂષણ (૨૦૦૨) અને પદ્મવિભૂષણ (૨૦૨૨) થી સન્માનિત કરી તેમની પ્રતિભાને ઓળખ આપી. ઘણા રાજ્યોએ તેમના સંગીત ક્ષેત્રના સર્વોચ્ચ એવોર્ડ પ્રભાજીને આપ્યા.
મૂળ કિરાના ઘરાનાની ગાયકી કરી પણ પોતે સંશોધન કરી સંગીત જગતને ૧૭ જેટલા નવા રાગો આપ્યા. કિરાના ગાયકીને આધુનિક આયામ આપ્યો. ૧૯૫૦ થી ૧૯૬૦ દરમ્યાન મરાઠી સંગીત નાટકોમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો. તેઓએ પોતાની ૨૦ થી ૮૦ વર્ષ સુધીની ઉંમર દરમ્યાન ૬૦ વર્ષની સંગીત સાધના સાથે ઓલ ઇન્ડિયા રેડિઓમાં, મુબઈની SNDT કોલેજમાં સંગીત વિષયના હેડ તરીકે, મરાઠી નાટકોમાં સંગીત ગાયકી સાથે અભિનય, ઘણા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શાસ્ત્રીય સંગીતમાં પ્રખ્યાત સંગીતકારોને તાલીમ આપવી, ઘણી વિદેશી યુનિવર્સીટીમાં લેકચરર તરીકે તેમજ ફિલ્મ સેન્સર બોર્ડના સભ્ય તરીકે સેવાઓ આપી.
સંગીત વિશ્વમાં ભારતીય શાસ્ત્રીય સંગીત એક સંગીત તરીકે જાણીતું હતું. પ્રભાજીએ સાસ્ત્રીય સંગીત સાથે ગઝલ, ભજન અને નાટ્યસંગીતને ગાયકી સાથે જોડી સંગીત દુનિયાને એક નવો અનુભવ કરાવ્યો. વન ટુ વન તાલીમ આપી ૨૦ જેટલા વિધાર્થીઓને શાસ્ત્રીય સંગીત શીખવ્યું જેઓએ પણ આગળ જતા દેશ-વિદેશમાં પ્રદાન કર્યું. SNDT કોલેજમાં ૧૦૦૦ થી વધુ વિધાર્થીઓએ તેમના હાથ નીચે સંગીત શિક્ષણ લીધું.
તેમણે કહ્યું, ‘સંગીતમાં અમુક રાગો અમુક સમયે જ ગવાય તે વાત ખોટી છે. રાગ ભૈરવ સવારે જ ગવાય અને રાગ યમન રાત્રે જ ગવાય તે માન્યતા ખોટી છે. જો કોઈ કલાકાર સવારના રાગોને સુંદરતા અને સાચા ભાવોથી રાતના સમયે ગાય તો શ્રોતાઓને સવારનો અહેસાસ થશે. સંગીત લાગણીનો વિષય છે. ઘડિયાળના કાંટાઓનો નથી.’ જો કે તેમની આ વાતનો સંગીતના ઘણા ધુરંધરોએ વિરોધ કર્યો હતો.
૮૦ માં વર્ષે (૨૦૧૨ માં) લંડનના કવિન એલીથાબેઝ હોલમાં દરબાર ફેસ્ટીવલ વખતે પોતે રચેલ ‘રાગ શ્યામ કલ્યાણ’ રજુ કર્યો તેનાથી દુનિયાભરના સંગીતકારો પ્રભાવિત થયા. ૮૪ માં વર્ષે (૨૦૧૬ માં) દિલ્હી ખાતે એક જ દિવસમાં એક જ મંચ પરથી એક સાથે સંગીતના વિષય પર અંગ્રેજી અને હિન્દીમાં ૧૧ પુસ્તકો લોન્ચ કરી વિશ્વરેકોર્ડ રચ્યો. આ ૧૧ પુસ્તકમાં ‘Enlightening the Listener’ પુસ્તકની ઓડીઓ આવૃત્તિ રજુ કરી. જે સામાન્ય શ્રોતાને શાસ્ત્રીય સંગીતની સમજ આપે છે. આ પુસ્તકને દુનિયાભરમાં પ્રસિદ્ધિ મળી. શાસ્ત્રીય સંગીતનું તે બાયબલ ગણાય છે.
૧૨ જાન્યુઆરી ૨૦૨૪. મોડી રાતનો સમય. સ્થળ પુના. ૯૧ વર્ષની ઉંમરે પ્ર્ભાજી પોતાના શિષ્યો સાથે બેઠા હતા. બીજા દિવસે એટલે ૧૩ જાન્યુઆરી અને ૧૬ જાન્યુઆરીના દિવસે મુબઈ ખાતે તેમના લાઈવ પ્રોગ્રામ હતા. ક્યા ક્યા રાગ રજુ કરવા તેની ચર્ચા મોડી રાત સુધી ચાલતી રહી. ૧૩/૦૧/૨૦૨૪ ની સવારે ૫.૩૦ વાગ્યે ઊંઘમાં જ તેમને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો અને ઈશ્વરે તેમને પોતાની પાસે બોલાવી લીધા.
છેલ્લો બોલ :
૧૬ – ૧૭ એપ્રિલ ૨૦૨૬. દિલ્હીનું ‘ઇન્ડિયા હેબિટેટ સેન્ટર’. અહીં તેમના ખાસ શિષ્યોએ તેમના જીવનકાળ દરમ્યાન તેમણે રચેલા અને આધુનિક આયામ આપેલ ૧૭ દુર્લભ રાગો અને સ્વરોને ‘નવરાગ પ્રભા’ નામના સંગીત કાર્યક્રમ દ્વારા એક જ મંચ પર એક સાથે રજુ કરી ગુરુજીને શ્રદ્ધાંજલિ આપી સંગીત દુનિયાને જણાવ્યું કે ડો. પ્રભાજીનો સંગીત વારસો જીવંત છે.
ડો.આશિષ ચોક્સી
(drashishchokshi.com)


