એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે?

રમેશ સવાણી , વડોદરા

(સંકલન : નિરવ જોશી, M-7838880134)

એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે!

News24માંથી રાજીનામું આપનાર વરિષ્ઠ પત્રકાર ગરિમા સિંહે લગભગ 27 દિવસ પછી સોશિયલ મીડિયા પર લાઇવ થઈને પોતાના રાજીનામા અને પત્રકારત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી.

તેઓ લગભગ ત્રણ વર્ષથી સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા અને પ્રાઇમ-ટાઇમ શો ‘સબસે બડા સવાલ’ની એન્કરિંગ કરતા હતા. તેઓ બોલ્ડ અને સવાલ કરનાર એન્કરિંગ માટે જાણીતા છે.

તેમણે કહ્યું કે “એ સમય દૂર નથી જ્યારે સરકાર પર સવાલ ઉઠાવવાથી બેકાબૂ લોકો મીડિયા સંસ્થાઓ અને સ્ટુડિયો સુધી પહોંચશે. પત્રકારત્વનો મૂળભૂત હેતુ સરકાર પર સવાલ ઉઠાવવાનો અને જાહેર મુદ્દાઓને ઉજાગર કરવાનો છે. પત્રકારનું કામ સત્તાની પ્રશંસા કરવાનું નથી, સત્તાને સવાલ કરવાનું છે. જો પત્રકારો મુક્તપણે પ્રશ્નો પૂછી શકતા નથી, તો લોકશાહી પર પણ અસર પડશે.”

છેલ્લા ત્રણ વર્ષથી, તેમણે સંપૂર્ણ પ્રામાણિકતા સાથે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ એક સમયે તેમને લાગ્યું કે તેઓ હવે પહેલાની જેમ મુક્તપણે પ્રશ્નો પૂછી શકતા નથી. આ કારણે તેમણે News24માંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો. ગરિમા સિંહને ધન્યવાદ આપવા પડે.
▪️
ગોદી મીડિયા 2014થી ખૂબ મલાઈ ખાઈ રહ્યા છે. લોકોને ધાર્મિક નશો કરાવ્યો છે. ધ્રુવિકરણ કર્યું છે. સત્તાને સવાલ કરવાને બદલે વિપક્ષને સવાલ કર્યા છે. વિપક્ષી નેતાઓનું ચરિત્રહનન કર્યું છે. વડાપ્રધાને 12 વર્ષમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ કરી નથી, તે અંગે ગોદી મીડિયા ચૂપ છે. મુસ્લિમો પ્રત્યે નફરત ફેલાવી છે. પાટલીબદલુઓ વિશે ચૂપ રહ્યા છે. ઈલેક્ટોરલ બોન્ડની અનીતિ/ નોટબંધીની નિષ્ફળતા/ CBI, IT, EDના દુરુપયોગ અંગે અવાજ ઊઠાવ્યો નથી. ચૂંટણી પંચ ભાજપની પાંખની જેમ કામ કરે છે તે અંગે સવાલો ઊઠાવ્યા નથી. ભ્રષ્ટાચારીઓને મંત્રી બનાવ્યા છે તે અંગે મૌન ધારણ કર્યું છે. સત્તાએ સ્વતંત્ર પત્રકારો પર ખોટા કેસો કર્યા છે, ત્યારે મૌન પાળ્યું છે. રાજકીય સ્વાર્થ માટે ધર્મ, મંદિરની રાજનીતિ કરનાર સામે સવાલ ઊઠાવ્યા નથી. લોકશાહી મૂલ્યો-બંધારણીય મૂલ્યો સાથે છેતરપિંડી થઈ રહી છે છતાં અવાજ ઊઠાવ્યો નથી. સત્તા પક્ષના IT Cell દ્વારા જૂઠાણાં/ ગાળો/ અશ્લીલતા રોકટોક વિના ફેલાવાઈ રહી છે પણ ગોદી મીડિયા આંખો બંધ કરીને માત્ર મોદીજીની સ્તુતિમાં મગ્ન છે. સરકારની તમામ મશીનરી મોદીજીની સ્તુતિ કરે છે. કોઈ નાનકડો વિરોધ કરે તો તેને દેશદ્રોહી/ ધર્મદ્રોહી/ વામપંથી/ ટુકડે ટુકડે ગેંગ ઠરાવી દે છે. વિપક્ષ તો દેશદ્રોહી છે તેવી ઈમેજ ગોદી મીડિયાએ ઊભી કરી છે. કોઈ સત્ય ઉચ્ચારે તો ટ્રોલસેના તાત્કાલિક હુમલો કરે છે! સ્વતંત્ર પત્રકારોના સોશિયલ મીડિયા પરના એકાઉન્ટ સસ્પેન્ડ કરાવે છે. મીડિયાની અંધભક્તિના કારણે ન્યાયતંત્ર ચાપલૂસ બની ગયું છે, ચૂંટણીપંચ તો તમામ મર્યાદા વટાવી ચૂક્યું છે. લોકોનો અવાજ દબાવવા ગોદી મીડિયા અને સત્તાપક્ષ બન્ને સક્રિય છે. એટલે જ અભિવ્યક્તિની સ્વતંત્રતા, લોકશાહીના ચોથા સ્તંભની વિશ્વસનીયતા અને જનહિતના સાચા પ્રશ્નોને ઉજાગર કરવા માટે ‘ગોદી મીડિયા’ સામે એક મજબૂત અને પ્રભાવશાળી જનઆંદોલન ઊભું કરવાની અનિવાર્યતા ઊભી થઈ છે.

શા માટે આવું આંદોલન કરવું જોઈએ?
[1] લોકશાહીમાં મીડિયાને સરકારની નીતિઓ પર નજર રાખનાર, સત્તાને જવાબદાર ઠેરવનાર અને જનતાનો અવાજ બનનાર ‘ચોથો સ્તંભ’ માનવામાં આવે છે. જ્યારે મીડિયા પોતાની આ નિષ્પક્ષ ભૂમિકા ભૂલીને કોઈ ચોક્કસ પક્ષ કે સત્તાધીશોના પ્રચારનું માધ્યમ બની જાય છે, ત્યારે લોકશાહી જોખમમાં મૂકાય છે. ઇતિહાસમાં ઘણા ઉદાહરણો છે જ્યાં મીડિયા સત્તાનું સાધન બની ગયું અને તેના પરિણામે સત્તા વધુ કેન્દ્રિત અને બેફામ થઈ હતી. તંદુરસ્ત લોકશાહી માટે મીડિયાને સ્વતંત્ર, નિર્ભીક અને ઈન્વેસ્ટિગેટિવ રહેવું જરૂરી છે, પછી ભલે સત્તા કોઈપણ પક્ષની હોય.​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​​ સાચા પત્રકારત્વને પુનર્જીવિત કરવા માટે આ પક્ષપાતી વલણ સામે અવાજ ઉઠાવવો જરૂરી છે.

[2] રોજિંદા જીવનના ગંભીર પ્રશ્નો જેવા કે: મોંઘવારી/ બેરોજગારી/ શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તા/ ખેડૂતોની અને શ્રમિકોની સમસ્યાઓ/ આર્થિક અસમાનતા, સામાજિક ભેદભાવ/ પર્યાવરણીય કટોકટી વગેરે મહત્ત્વના મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે જ્યારે મીડિયા બિનમહત્ત્વના કે ધ્રુવીકરણ કરનારા મુદ્દાઓને સ્થાન આપે છે, ત્યારે સામાજિક વિકાસ રૂંધાય છે. જનઆંદોલન દ્વારા મીડિયાનું ધ્યાન ફરીથી જનતાના વાસ્તવિક પ્રશ્નો પર કેન્દ્રિત કરી શકાય છે.

[3] જ્યારે મીડિયા સત્યની તપાસ (Fact-checking) કર્યા વગર સત્તા કે પ્રભાવશાળી વર્ગનો એજન્ડા ફેલાવવાનું સાધન બની જાય છે, ત્યારે સમાજમાં અવિશ્વાસ અને ભ્રમણાઓ ફેલાય છે. એક વ્યાપક વિરોધ અથવા આંદોલન મીડિયા સંસ્થાઓ પર નૈતિક દબાણ લાવે છે કે તેઓ જવાબદારીપૂર્વક અને પ્રમાણિકપણે સમાચાર પ્રસારિત કરે.

[4] કોઈપણ સરકાર કે શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે દોષરહિત હોતી નથી. સરકારની ભૂલો કે ખામીઓની નિષ્પક્ષ ટીકા કરવી એ પત્રકારત્વનું મૂળ કર્તવ્ય છે. જ્યારે મીડિયા ભય કે લોભ વશ માત્ર પ્રશસ્તિગાન (ગુણગાન) કરવા લાગે છે, ત્યારે શાસનમાં પારદર્શિતા નષ્ટ થાય છે. લોકશાહીને જીવંત રાખવા માટે ભયમુક્ત અને નિર્ભીક પત્રકારત્વ અનિવાર્ય છે.

[5] આવું આંદોલન માત્ર મીડિયા સામેનો વિરોધ નથી, પરંતુ સામાન્ય જનતામાં જાગૃતિ લાવવાનું એક મોટું અભિયાન છે. જ્યારે જનતા પક્ષપાતી અને સત્યથી વેગળા સમાચારોને ઓળખતી થઈ જાય છે અને વૈકલ્પિક, સ્વતંત્ર ડિજિટલ પ્લેટફોર્મ્સને પ્રોત્સાહન આપે છે, ત્યારે મુખ્ય પ્રવાહના મીડિયા પર પણ સુધારા માટેનું દબાણ વધે છે.

લોકશાહીમાં મીડિયાનું મુખ્ય કામ સરકાર અને સત્તાધારીઓ પર નજર રાખવાનું/ ભ્રષ્ટાચાર, દુરુપયોગ અને ભૂલો ઉજાગર કરવાનું/ જાહેર અભિપ્રાય બનાવવાનું અને નાગરિકોને માહિતગાર રાખવાનું છે. જ્યારે મીડિયા આ કામ છોડીને સત્તાની સ્તુતિ કરવા લાગે (પ્રશંસા, પ્રચાર, અથવા મૌન), ત્યારે સત્તા પરનું દબાણ ઘટી જાય છે/ જવાબદારી નબળી પડે છે/ ભૂલો અને અતિક્રમણો સરળતાથી છુપાઈ જાય છે/ નાગરિકો સાચી માહિતી વગર નિર્ણય લે છે/ પરિણામે નબળા અને ક્રિમિનલ શાસકને ચૂંટે છે. એક વખત ક્રિમિનલ ઈસમોના હાથમાં સત્તા આવે એટલે તેઓ કાયમી સત્તામાં ટકવા માટે નાગરિકોનું ધનોતપનોત કાઢી નાખે છે!

(લેખક પોલીસ ખાતામાં ભૂતપૂર્વ સરકારી અધિકારી રહી ચૂક્યા છે તેઓ સોશિયલ મીડિયામાં અને અલગ અલગ મંચ પર તેમના સ્વતંત્ર વિચારો અને સત્ય પ્રિય લખાણ કરીને ગુજરાતની જનતાને પ્રેરણા આપી રહ્યા છે)

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच