વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન કરાયું

 વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન કરાયું

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

  • કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની રજૂઆતો ધ્યાને લઇ સરકાર દ્વારા સૌની યોજનાના માધ્યમથી જામનગર જિલ્લાના જળાશયોમાં નવી જળ રાશીની આવક શરૂ કરાઈ
  • વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ડેમોને પણ નર્મદાનાં નીર વડે ભરવાનું આયોજન હાથ ધરાયુ.

સરદાર સરોવર ડેમમાંથી દરીયામાં વહી જતાં નર્મદાનાં નીરને જામનગર જિલ્લામાં સૌની યોજનાના માધ્યમથી પાણી મળી રહે તે માટે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્યના નર્મદા, જળસંપતિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાને વિશેષરૂપે કરેલ ભલામણનો સ્વીકાર કરી શ્રી કુંવરજીભાઇ બાવાળીયાએ જામનગર જિલ્લાના વિવિધ ડેમો તથા ચેકડેમોમાં પૂરતા પ્રમાણમાં જળ પુરવઠો ઠાલાવવાની મંજૂરી આપતાં જિલ્લાના જળાશયોને મહત્તમ જળ રાશી પ્રાપ્ત થઈ રહી છે.

જેના કારણે સૌની યોજનાની લિંક-૧ મારફત મચ્છુ-૨ ડેમથી પંપીંગ કરી આજી-૩ પંપીંગ સ્ટેશન, ઉંડ-૧ ડેમ ખાતેના પંપીંગ સ્ટેશન તથા પીપરટોડા પંપીંગ સ્ટેશન મારફત જામનગર જિલ્લાના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સસોઈ ડેમમાં પાણી ઠાલવીને સસોઈ ડેમને ૧૦૦% પૂર્ણ સપાટીએ ભરવામાં આવેલ છે તથા સમગ્ર જામનગર જિલ્લામાં સૌની યોજનાની લિંક-૧, પેકેજ-૩ મારફત જોડાયેલા વિવિધ ગામોના ચેકડેમો જેવા કે લૈયારા, સણોસરા, ગઢડા, જાબીડા, હડમતીયા, સુમરા, પીપરટોડાના ૧૭ જેટલા ચેકડેમો તથા લિંક-૧ ના પેકેજ-૪ મારફત ચંદ્રગઢ, ઢાંઢા, મકવાણા, લાવડીયાના કુલ ૧૫ ચેકડેમો તથા લિંક-૧ ના પેકેજ-૫ મારફત આરીખાણા, હરીપર, પીપળી તથા રંગમતી ડેમની ઉપરવાસના કુલ ૧૧ ચેકડેમોને નર્મદાનાં નીરથી છલકાવવામાં આવેલ છે. સૌની યોજનાની લિંક-૩ મારફત કાલાવડ તાલુકાના ઉંડ-૪ અને ઉંડ-૩ ડેમ ભરવાની શરૂઆત કરેલ છે તથા વિવિધ ગામો જેવા કે સરવાણીયા, જાલણસર, અરલા, છતર, આણંદપર, ચારણ પીપળીયા, પીપર, કોઠા-ભાડુકીયાના કુલ ૨૯ ચેકડેમો અને તળાવો ભરવામાં આવેલ છે. આગામી સમયમાં લિંક-૧ મારફત પંપીંગ કરી ઉંડ-૨ ડેમ, પન્ના ડેમ, રંગમતી ડેમ તથા સૌની યોજના મારફત જોડાયેલ તથા હાલમાં વરસાદ ખેંચાવાના કારણે પૂર્ણ સપાટીએ ભરાયેલ ન હોય તેવા વિવિધ ચેકડેમો તથા ડેમોને નર્મદાનાં નીર વડે ભરવાનું પણ આયોજન હાથ ધરાયેલ છે.


*રાજ્યના ખેડૂતો માટે સરકારનો આવકારદાયક નિર્ણય*

*ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રૂ. ૬૩૬૪ કરોડની કિંમતની ૯.૯૮ લાખ મે. ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડની ૯૧,૩૪૩ મે. ટન સોયાબીનની ખરીદી કરાશે: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ*

*ગાંધીનગર ખાતે કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક*

*ગુજરાતમાં આગામી તા. ૨૧મી ઑક્ટોબરથી શરૂ થશે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી*

*ખેડૂતો તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવી શકશે*

ગાંધીનગર ખાતે ગત તા. ૨૨મી સપ્ટેમ્બરના રોજ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મગફળી, મગ, અડદ અને સોયાબીન જેવા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાના આયોજન અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. કૃષિ મંત્રીશ્રી જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બેઠકમાં ટેકાના ભાવે ખરીદી અંગે કરાયેલા આયોજનની માહિતી આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભારત સરકારના પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત પી.એસ.એસ. હેઠળ ગુજરાતમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની ટેકાના ભાવે આગામી તા. ૨૧મી ઑક્ટોબર અને શનિવારના રોજથી ખરીદી શરૂ કરવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્યમાં મગફળી માટે ૧૬૦, મગ માટે ૭૩, અડદ માટે ૧૦૫ અને સોયાબીન માટે ૯૭ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાંથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ચાલુ સીઝનમાં રાજ્યના ખેડૂતો પાસેથી રૂ. ૬૩૬૪.૨૪ કરોડ મૂલ્યની ૯.૯૮ લાખ મેટ્રિક ટન મગફળી અને રૂ. ૪૨૦ કરોડ મૂલ્યના ૯૧,૩૪૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવાનું આયોજન છે.

ખેડૂતોને ટેકાના ભાવે ખરીફ પાકોનું વેચાણ કરવા અનુરોધ કરતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતોએ તા. ૨૫ સપ્ટેમ્બરથી ૧૬ ઑક્ટોબર દરમિયાન ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફત ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે, અને આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂરતું આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખરીફ પાકોનું વાવેતર થાય તે અગાઉ જ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. જે અનુસાર મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૬૩૭૭ પ્રતિ કિવ., મગનો ટેકાનો ભાવ રૂ. ૮૫૫૮ પ્રતિ કિવ., અડદનો ટેકનો ભાવ રૂ. ૬૯૫૦/- પ્રતિ કિવ. અને સોયાબીનનો ટેકનો ભાવ રૂ. ૪૬૦૦ પ્રતિ કિવ. જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *