નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજરોજ હિંમતનગર શામળાજી રોડ પર આવેલા કાંકરોલ ગામના સામે આવેલા શંકર આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ નો ચોથો દિવસ હતો. ઉલ્લેખનીય છે કે કાંકરોલ ગામ અને એની આજુબાજુ આવેલા હડિયોલ ગામ તેમજ બીજા ગામોના સત્સંગીઓ અને સુરતના ભક્તો વડે શંકર આશ્રમ ના વાર્ષિક સ્થાપના દિવસ નિમિત્તે ભાગવત સપ્તાહ આયોજિત કરી છે. આજથી ઘણા વર્ષો પહેલા મહેસાણા જિલ્લાના ઊંઝા ઉનાવા ખાતેના પરમ પૂજ્ય સદગુરુ શ્રી શંકર મહારાજે તપસ્વી અને સત્સંગની ધૂણી ધખાવી હતી. તેમણે આ દરમિયાન અનેક આત્મજ્ઞાની અને સત્સંગીઓને સત્સંગનો લાભ આપ્યો હતો.
શંકર મહારાજના કુલ ત્રણ આશ્રમ ગુજરાતમાં છે જેમાં એક આશ્રમ સુરત વિસ્તારમા આવેલો છે અને અન્ય બે આશ્રમ સાબરકાંઠાના હિંમતનગર પાસે તેમજ ઉનાવા ખાતે આવેલ છે . અમદાવાદના પાલડી ખાતે પણ શંકર મહારાજનો આશ્રમ આવેલો છે. આ આશ્રમમાં અનેક સત્સંગીઓ જઈને સનાતન ધર્મનો બોધ ગ્રહણ કરે છે. 2006 ના વર્ષમાં સ્થાપના કરવામાં આવેલા હિંમતનગરના કાંકરોલ ગામ પાસે આવેલા શંકર આશ્રમમાં ભાગવત સપ્તાહ તારીખ 23 માર્ચથી 30 માર્ચ દરમિયાન આયોજિત થઈ છે જેનો મોટો લાભ આજુબાજુના ગ્રામજનો તેમજ સુરતથી પધારેલા સત્સંગ મંડળને મળી રહ્યો છે. 23 માર્ચના રોજ આ ભાગવત સપ્તાહનું આયોજન થયું હતું અને એનો શુભારંભ થયો હતો.
ભાગવત સપ્તાહની વ્યાસપીઠ પર ભુજથી આવેલા મહેશભાઈ ભટ્ટ ભાગવત કથાકાર તરીકે સત્સંગ કરાવી રહ્યા છે… તેઓએ દેશ વિદેશમાં અનેક કથાઓ કરી છે જેમાં 671 જેટલી સંખ્યા ભાગવત કથાઓની રહેલી છે.
આજે ભાગવત કથા નો ચોથો દિવસ હતો જેનો મોટો લાભ સત્સંગીઓએ લીધો હતો અને મહાપ્રસાદ પણ લીધો હતો. આવનારા ત્રણ દિવસમાં સત્સંગની સાથે સાથે હવન તેમજ 30 મી માર્ચના રોજ શંકર આશ્રમ, કાંકરોલનો સ્થાપના દિવસ હોવાથી મોટાપાયે ઉજવણી કરવાનું ગ્રામજનો નક્કી કર્યું છે અને સર્વે હરિભક્તોને આમંત્રિત કર્યા છે.


