ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

 ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

નીરવ જોષી , અમદાવાદ

ખેડૂતો ઉપર અઘોષિત વીજ કાપ મુદ્દે શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની રાજ્ય સરકારને ચિમકી

વાવેતરના સમયે જ વીજ કાપના કારણે સમયસર વાવેતર નહીં થાય તો ચોમાસા બાદ શિયાળુ સિઝન પણ નિષ્ફળ જવાની શક્યતા પણ સરકાર નિંદ્રાધીન – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

વીજળી દૈનિક ચાર થી પાંચ કલાક આપવામાં આવે છે અને વીજ બીલ પુરુ ૮ કલાક વીજળીના લેખે વસુલવામાં આવે છે, આ લૂંટ છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

વારંવાર વીજળીમાં કટ થી ટ્યુબવેલની મોટરો બળી જતા ખેડુતોને મોટો આર્થિક ફટકો પણ પડી રહ્યો છે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ભાજપ સરકાર પોતાની અણઆવડત અને બેદરકારીના કારણે કોરોના સમયે લોકોને સારવાર પુરી પાડી ના શકી અને હવે વાવેતરના સમયે ખેડુતોને વીજળી પુરી પાડી શકતા નથી – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ખેડુતોને નિર્ધારીત સમય મુજબ પુરી ૮ કલાક વીજળી પુરી ના પાડી શકો તો, રાજીનામા આપી દો – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ખેડૂતોને સતત આઠ કલાક વીજ પુરવઠો આપવામાં નહીં આવે તો ખેડુતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે – શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા

ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરના સમયે જ કૃષિ વિષયક વીજળી માં અઘોષિત વીજ કાપ ખેડુતો ઉપર થોપી દેવામાં આવ્યો છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારને ચિમકી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વાવેતરના સમયે વીજ કાપ થોપી બેસાડી રાજ્યની ભાજપ સરકાર ખેડૂતોને પ્રતાડિત કરી રહી છે. ખેડૂતો રવિ સિઝનના વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ ખેડુતોને દિવસે વીજળી આપવાના દિવા સ્વપ્નો દેખાડી રહેલ રાજ્યની ભાજપ સરકારે કૃષિ વિષયક વીજળીમાં મોટો કાપ મુકીને ખેડુતોના મોઢાનો કોળીયો છીનવી લેવાનું પુરું આયોજન કરેલ છે. વીજળીના અભાવે પિયત ના થતા ખેડુતો વાવેતર કરી શકે તેમ નથી. જો સમય સમયસર વાવેતર નહીં થાય તો શિયાળુ પાકના ઉત્પાદનમાં મોટો ફટકો પડી શકે તેમ છે. એકબાજુ સરકારે ચોમાસુ સિઝન નિષ્ફળ જવા છતાં ખેડુતોને ‘મુખ્યમંતી કિસાન સહાય’ યોજના અંતર્ગત એક રૂપિયાની પણ સહાય આપવામાં આવી નથી. એવામાં હવે શિયાળુ સિઝન પણ નિષ્ફળ જશે તો ખેડુતો માટે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતી સર્જાશે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે ખેડુતો પાસેથી પુરુ લાઈટ બીલ વસુલવામાં આવતુ હોવા છતાં નિર્ધારીત 8 કલાકની જગ્યાએ માત્ર 5 કલાક વીજળી આપી ખેડુતોને ડામ આપવામાં આવી રહ્યા છે. તેમાં પણ અનિયમિત સમયના કારણે ખેડૂતો પિયત કરી શકતા નથી. ઉપરાંત વારંવાર વીજ કટ થતો હોવાથી ટ્યુબવેલની મોટર પણ બળી જતા ખેડુત મિત્રોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. ખેડૂતો વીજ કચેરીએ ફોન કરે તો લાઇન ફોલ્ટમાં હોવાના ખોટા બહાના બતાડવામાં આવી રહ્યા છે.

શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઉમેર્યુ હતું કે જે રીતે ભાજપ સરકાર ખેડુતોને હેરાન કરી રહી છે, તે અસહ્ય છે, મારી રાજ્ય સરકાર અને વીજ કંપનીઓએ વિનંતી છે કે ખેડૂતો પુરતા સમય સુધી એકધારી વીજળી આપવામાં આવે. નહીં તો ખેડુતોને સાથે રાખી આ મામલે આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

Joshinirav1607@gmail.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *