રમેશ સવાણી ( સ્વતંત્ર લેખક, વિચારક)
ગુજરાતમાં હિન્દુ રાષ્ટ્ર : ‘અમારી આપો, તમારી લઈ જાવ!’
ગુજરાતમાં પરણિત મહિલાઓ હિન્દુ રાષ્ટ્રની બજારુ ચીજ બની ગઈ છે! જુઓ, શું થઈ રહ્યું છે ગુજરાતમાં-
[1] પહેલાં જુદી જુદી જાતિઓના સમાજોએ યુવાનો અને યુવતીઓને રોમેન્ટિક પ્રેમ કરવાની ના પાડી. એમાં કેટલાક ધારાસભ્યો પણ જોડાયા! થોડાંક વર્ષો પહેલાં સુરત અને રાજકોટમાં પટેલોના સમાજોએ સેંકડો યુવાન છોકરીઓ અને છોકરાઓને એવા સોગંધ લેવડાવ્યા હતા કે તેઓ પ્રેમ નહીં કરે, અને કરશે તો પણ લગ્ન તો માબાપ કહે ત્યાં જ કરશે! પૈસાદાર થવાથી મગજ વિકસિત થતું નથી, તે પછાત જ રહે છે. એનો આ પુરાવો હતો. આ ચેપ હવે અન્ય સમાજમાં લાગ્યો છે. રબારી અને ચૌધરી, OBC જ્ઞાતિઓ સામસામે આવી ગઈ છે!
[2] એટલે ગુજરાત સરકારે હમણાં કાયદામાં ફેરફાર કરીને એના પર મંજૂરીની મહોર મારી અને કહ્યું કે પ્રેમ કરતાં પહેલાં કે લગ્ન કરતાં પહેલાં માબાપને પૂછો.
[3] હવે એક નાતના લોકો એક યુવતીનું અપહરણ કરે છે અને એના પરિવારમાં પાછી લઈ આવે છે. એ યુવતી હવે એમ કહે છે કે એ તો એના પ્રેમીને છોડીને પોતાની મરજીથી માબાપને ત્યાં પાછી આવી છે! આને આખી નાતે એ યુવતી પર કરેલો સામાજિક બળાત્કાર ન કહેવાય? એ નાતનો સમાજ એ યુવતીને એની મરજીના યુવક સાથે પ્રેમલગ્ન કરવા દેતો નથી કારણ કે એ યુવક બીજી કોઈક નાતનો છે!
[4] હવે એ યુવક જે નાતનો છે એ નાતના લોકો એમ કહે છે કે ભૂતકાળમાં અમારી નાતની જે છોકરીઓ તમારી નાતમાં પરણી છે એ બધી પાછી આપો! હવે ગજગ્રાહ ચાલુ થયો છે! બે નાતોના સમાજો મારામારી પર ઊતરી આવ્યા છે!
કમાલ તો એ છે કે આ બધા પાછા રાધાકૃષ્ણની પૂજા કરનારા જ છે!
ક્યાં જઈ રહ્યું છે આ ‘ગરવી ગુજરાત’? કેટલી શરમજનક વાત છે આ કે સમાજને નામે, પરિવારની કહેવાતી ઈજ્જતને નામે રોમેન્ટિક પ્રેમ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
એક કેનેડિયન અમેરિકન સમાજશાસ્ત્રી છે ઇરવિંગ ગોફમેન(1922-82). તેમણે તેમના 1956ના એક પુસ્તકમાં એવું લખ્યું છે કે, “સમાજ એક પાગલખાનું છે અને તેમાં રહેનારા એ ચલાવે છે.”
ગુજરાતના લોકો અને ગુજરાતની સરકાર બંનેને આ વાક્ય અત્યારે લાગુ પડે છે.
આ હિન્દુ રાષ્ટ્રનું ગુજરાત મોડેલ છે! શરમ કરો જરા, સમાજો અને સરકાર બંને.
કમાલ છે ને! આ બધા કેવા હિન્દુઓ છે કે જે પરણિત યુવતીઓની લેવડદેવડ યુવતીઓની મરજી વગર કરી રહ્યા છે. જાણે કે આ યુવતીઓનું બજાર ઊભું થઈ ગયું છે: અમારી પાછી આપો, તમારી પાછી લઈ જાવ! પરણિત યુવતીઓ હિન્દુ રાષ્ટ્રના બજારની ચીજ છે?
rs [સૌજન્ય: પ્રો. હેમંતકુમાર શાહ, 18 માર્ચ 2026]
રમેશ સવાણી ( પૂરક fB પોસ્ટ)
હમણાં એક નવું તૂત શરૂ થયું છે બેટી પરત આપો. સ્ત્રીને પગની જૂતી સમજતા સમાજમાં દીકરી પ્રેમલગ્ન કરે એ પોતાના સમાજનો હોય તોય માબાપને ગમે નહિ એવો મિથ્યા અહંકારી આ સમાજ છે. એમાં મનુવાદી સરકારે લગ્ન નોંધણી વખતે માબાપને જાણ કરવાની રહેશે એવા ગેરબંધારણીય નિયમો લાવવાની લોલીપોપ પકડાવી જુદા જુદા સમાજો વચ્ચે બરાબર સળગાવ્યું છે. સાયન્સની બાયોલોજીની સમજ વગરના લિડરો પાછા વાતે વાતે સનાતત ને એની પરંપરાઓની દુહાઈ આપતા હોય છે. પોતાને કૃષ્ણના વારસદારો ગણાવતા અજ્ઞાનીઓને ખબર નથી કૃષ્ણની ફક્ત એકજ રાણી સત્યભામા જ યાદવકુળની હતી બાકીની છ અલગ અલગ કુળોની હતી અને એક તો વળી હોમો સેપિયન પણ નહોતી એ હતી જાંબવતી. આપણે હાલ પૃથ્વી ઉપર એકમાત્ર બચેલા માનવો હોમો સેપિયન છીએ પરંતુ એક સમયે સાતેક માનવ પ્રજાતિઓ સહઅસ્તિત્વ ધરાવતી હતી. એ કઈ કઈ હતી એ જાણવા વિડીયો પુરો જુઓ બહુ લાંબો નથી. રામની વાનરસેના અને હનુમાનજી પણ આવી જ કોઈ માનવ પ્રજાતિના હશે. કોઈ બકવાસ કરતું હતું કોઈ મંચ ઉપર કે કાગડો પોપટ જોડે લગન ના કરે તો હે બકબકયિણ! માનવ પણ ઘોડા ગધેડા જોડે લગન કરતો નથી માણસ જોડે જ લગન કરતો હોય છે, પરંતુ નજીકના લોહીમાં સંબંધો બાંધી સંતતિ પેદા કરવી યોગ્ય નથી એટલું તો ચિમ્પાન્ઝી પણ સમજે છે પરંતુ ભારતના માનવો સમજતા નથી. વ્યક્તિગત કે બે કુટુંબો વચ્ચે પ્રેમલગ્નના કારણે ઝઘડા થતાં પણ બે સમાજો ઝઘડ્યા હોય એ પહેલીવાર બન્યું ને આવું ગુજરાત બનાવવામાં મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહમંત્રીનો બહુ મોટો ફાળો છે.
