પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

 પ્રધાનમંત્રીએ બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુના મૂલ્યના બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બેંગલુરુમાં રૂ. 27000 કરોડથી વધુની કિંમતની બહુવિધ રેલ અને રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ અગાઉ, પ્રધાનમંત્રીએ બ્રેઈન  સંશોધન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું હતું અને IISc બેંગલુરુ ખાતે બાગચી પાર્થસારથી મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે ડૉ. બી. આર. આંબેડકર સ્કૂલ ઑફ ઇકોનોમિક્સ (BASE) યુનિવર્સિટીનાં નવાં કૅમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું અને તેનાં કૅમ્પસમાં ભારત રત્ન ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યું. તેમણે ટેકનોલોજી હબ્સ તરીકે 150 ITI ના અપગ્રેડેશનું પણ લોકાર્પણ કર્યું હતું.

આ પ્રસંગે કર્ણાટકના રાજ્યપાલ શ્રી થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી શ્રી બસવરાજ બોમાઈ, કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા.

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે કર્ણાટકમાં 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ્સ, 7 રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે અને આજે કોંકણ રેલવેનાં 100% વિદ્યુતીકરણના નોંધપાત્ર સીમાચિહ્નરૂપ સાક્ષી બન્યા છે. આ તમામ પ્રોજેક્ટ કર્ણાટકના યુવાનો, મધ્યમ વર્ગ, ખેડૂતો, કામદારો અને ઉદ્યોગ સાહસિકોને નવી સુવિધાઓ, નવી તકો આપશે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુ દેશના લાખો યુવાનો માટે સપનાંનું શહેર છે, આ શહેર એક ભારત શ્રેષ્ઠની ભાવનાનું પ્રતિબિંબ છે. “બેંગલુરુનો વિકાસ લાખો સપનાંઓને પોષે છે. એટલા માટે છેલ્લાં 8 વર્ષમાં કેન્દ્ર સરકાર બેંગલુરુની ક્ષમતાઓને વધારવા માટે સતત કામ કરી રહી છે.”

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે ‘ડબલ એન્જિન’ સરકાર બેંગલુરુને ટ્રાફિક જામથી મુક્ત કરવા માટે રેલ, રોડ, મેટ્રો, અંડરપાસ, ફ્લાયઓવર જેવી માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા જેવા દરેક સંભવિત ઉપાયો પર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે તેમની સરકાર બેંગલુરુના ઉપનગરીય વિસ્તારોને વધુ સારી કનેક્ટિવિટી સાથે જોડવા માટે પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા ચાર દાયકાઓથી આ તમામ પગલાં વિશે વાત ચાલી રહી હતી અને હવે, ‘ડબલ એન્જિન’ સરકાર સાથે, લોકોએ વર્તમાન વ્યવસ્થાને આ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની તક આપી છે. પ્રધાનમંત્રીએ આ પ્રોજેક્ટને સમયસર પૂરો પાડવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું કે તેઓ આગામી 40 મહિનામાં બેંગલુરુના લોકોનાં સપનાંઓને પૂરાં કરવાં સખત મહેનત કરશે જે છેલ્લાં 40 વર્ષથી પેન્ડિંગ હતાં.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુ ઉપનગરીય રેલ પ્રોજેક્ટ દ્વારા કનેક્ટિવિટી બેંગલુરુ શહેરને તેના ઉપનગરો અને સેટેલાઇટ ટાઉનશીપ સાથે જોડશે અને તેની ગુણાકારી અસર થશે. એ જ રીતે, બેંગલુરુ રિંગ રોડ પ્રોજેક્ટ શહેરની ભીડમાં ઘટાડો કરશે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે છેલ્લાં 8 વર્ષમાં સરકારે રેલ કનેક્ટિવિટીનાં સંપૂર્ણ પરિવર્તન પર કામ કર્યું છે. તેમણે નોંધ્યું કે ભારતીય રેલવે વધુ ઝડપી, સ્વચ્છ બની રહી છે, તે આધુનિક, સલામત અને નાગરિકોને અનુકૂળ બની રહી છે. “અમે રેલને દેશના તે ભાગોમાં લઈ ગયા છે જ્યાં તેના વિશે વિચારવું પણ મુશ્કેલ હતું. ભારતીય રેલવે હવે તે સુવિધાઓ અને વાતાવરણ પ્રદાન કરવાનો પ્રયાસ કરી રહી છે જે એક સમયે માત્ર એરપોર્ટ અને હવાઈ મુસાફરીમાં જોવા મળતાં હતાં. બેંગલુરુમાં આધુનિક રેલવે સ્ટેશનનું નામ ભારત રત્ન સર એમ. વિશ્વેશ્વરાયનાં નામ પર રાખવામાં આવ્યું છે તે પણ આનો સીધો પુરાવો છે”, એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ સંકલિત મલ્ટિમોડલ કનેક્ટિવિટીનાં મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ઉલ્લેખ કર્યો કે આ મલ્ટિમોડલ કનેક્ટિવિટી પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટરપ્લાન દ્વારા નવી ગતિ મેળવી રહી છે. તેમણે કહ્યું કે આગામી મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ પાર્ક આ વિઝનનો એક ભાગ છે. ગતિશક્તિની ભાવના સાથે હાથ ધરવામાં આવતા આવા પ્રોજેક્ટ યુવાનોને રોજગાર આપશે અને આત્મનિર્ભર ભારત અભિયાનને પણ મજબૂત કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બેંગલુરુની સફળતાની ગાથા 21મી સદીના ભારતને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. બેંગલુરુએ બતાવ્યું છે કે જો સરકાર સુવિધાઓ પૂરી પાડે અને નાગરિકોનાં જીવનમાં દખલગીરી ઓછી કરે તો ભારતીય યુવાનો શું કરી શકે છે. બેંગુલુરુ દેશના યુવાનોનું સ્વપ્ન શહેર છે અને તેની પાછળ ઉદ્યોગસાહસિકતા, નવીનતા, જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની યોગ્ય ઉપયોગિતા છે. તેમણે કહ્યું કે બેંગલુરુ એ લોકો માટે પાઠ છે જેઓ હજુ પણ ભારતનાં ખાનગી સાહસની ભાવનાનો અનાદર કરે છે. 21મી સદીનું ભારત, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંપત્તિ સર્જકો, જૉબ સર્જકો અને સંશોધનકારોનું ભારત છે. વિશ્વનાં સૌથી યુવા રાષ્ટ્ર તરીકે, આ ભારતની સંપત્તિ અને તાકાત છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ એમએસએમઈનાં મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે એસએમઈની વ્યાખ્યામાં ફેરફાર સાથે, તેમની વૃદ્ધિના નવા રસ્તાઓ ખુલ્યા છે. આત્મનિર્ભર ભારતમાં વિશ્વાસના ચિહ્ન તરીકે, ભારતે રૂ. 200 કરોડ સુધીના કરારોમાં વિદેશી ભાગીદારી દૂર કરી છે. કેન્દ્ર સરકારના વિભાગોને MSME પાસેથી 25 ટકા સુધીની ખરીદી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, GeM પોર્ટલ MSME સેગમેન્ટ માટે એક મહાન સમર્થક સાબિત થઈ રહ્યું છે.

સ્ટાર્ટઅપ સેક્ટરમાં મોટી પ્રગતિનો ઉલ્લેખ કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું કે અગાઉના દાયકાઓમાં કેટલી અબજ ડૉલરની કંપનીઓ બનાવવામાં આવી હતી તે આંગળીના વેઢે ગણી શકાય છે. પરંતુ છેલ્લાં 8 વર્ષમાં 100થી વધુ અબજ ડૉલરની કંપનીઓ બની છે અને દર મહિને નવી કંપનીઓ ઉમેરાઈ રહી છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે જ્યારે પ્રથમ 10000 સ્ટાર્ટઅપને 2014 પછી 800 દિવસનો સમય લાગ્યો હતો પરંતુ હવે આટલાં સ્ટાર્ટઅપ્સ 200 દિવસથી ઓછા સમયમાં ઉમેરવામાં આવી રહ્યા છે. છેલ્લાં 8 વર્ષમાં સર્જાયેલાં યુનિકોર્નનું મૂલ્ય આશરે 12 લાખ કરોડ રૂપિયા છે, એમ તેમણે માહિતી આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સ્પષ્ટપણે માને છે કે ઉપક્રમ સરકારી હોય કે ખાનગી, બંને દેશની સંપત્તિ છે, તેથી સમાન તકો દરેકને સમાન રીતે મળવી જોઈએ. પ્રધાનમંત્રીએ દેશના યુવાનોને સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી વિશ્વસ્તરીય સુવિધાઓ પર તેમનાં વિઝન અને વિચારોને ચકાસવા આમંત્રણ આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકાર સખત મહેનત કરી રહેલા યુવાનોને પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. સરકારી કંપનીઓ પણ લેવલ પ્લેઇંગ ફિલ્ડ- સમાન તકો પર સ્પર્ધા કરશે, એમ તેમણે સમાપન કર્યું હતું.

પ્રોજેક્ટ્સની વિગતો:

બેંગલુરુ સબર્બન રેલ પ્રોજેક્ટ (BSRP) બેંગલુરુ શહેરને તેનાં ઉપનગરો અને સેટેલાઇટ ટાઉનશીપ સાથે જોડશે. રૂ. 15,700 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટ, 148 કિલોમીટરથી વધુની કુલ રૂટ લંબાઈ સાથે 4 કોરિડોરની કલ્પના કરે છે. પ્રધાનમંત્રીએ બેંગલુરુ કેન્ટ. અને યશવંતપુર જંકશન રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કર્યો જે અનુક્રમે રૂ. 500 કરોડ અને રૂ. 375 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ, ભારતનું પ્રથમ એર કન્ડિશન્ડ રેલવે સ્ટેશન – બાયપ્પનહલ્લી ખાતે સર એમ વિશ્વેશ્વરાય રેલવે સ્ટેશન રાષ્ટ્રને સમર્પિત કર્યું જે લગભગ રૂ. 315 કરોડના ખર્ચે આધુનિક એરપોર્ટની જેમ વિકસાવવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ઉડુપી, મડગાંવ અને રત્નાગિરીથી ઈલેક્ટ્રિક ટ્રેનોને લીલી ઝંડી બતાવીને રોહા (મહારાષ્ટ્ર)થી થોકુર (કર્ણાટક) સુધીની કોંકણ રેલવે લાઇન (લગભગ 740 કિમી)નું 100 ટકા વિદ્યુતીકરણ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. કોંકણ રેલવે લાઇનનું વિદ્યુતીકરણ 1280 કરોડથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે. આર્સીકેરેથી તુમકુરુ (લગભગ 96 કિમી) અને યેલાહંકાથી પેનુકોંડા (લગભગ 120 કિમી) અનુક્રમે પેસેન્જર ટ્રેન અને મેમુ સેવાને લીલી ઝંડી બતાવીને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને બે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કર્યા. આ બે રેલવે લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અનુક્રમે રૂ. 750 કરોડ અને રૂ. 1100 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યા છે.

કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ બેંગલુરુ રિંગ રોડ પ્રોજેક્ટના બે વિભાગોનો શિલાન્યાસ પણ કર્યો હતો. 2280 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર આ પ્રોજેક્ટ શહેરમાં ટ્રાફિકની ભીડ ઘટાડવામાં મદદ કરશે. પ્રધાનમંત્રીએ અન્ય વિવિધ રોડ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કર્યો: NH-48ના નેલમંગલા-તુમકુર વિભાગને છ લેનિંગ; NH-73ના પુંજલકટ્ટે-ચરમડી વિભાગને પહોળો કરવો; NH-69ના વિભાગનું પુનર્વસન અને અપગ્રેડેશન. આ પ્રોજેક્ટ્સમાં થનારો સંચિત ખર્ચ લગભગ રૂ. 3150 કરોડ છે. પ્રધાનમંત્રીએ મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્કનો શિલાન્યાસ પણ કર્યો, જે લગભગ રૂ. 1800 કરોડના ખર્ચે બેંગલુરુથી લગભગ 40 કિમી દૂર મુદ્દલિંગનહલ્લી ખાતે વિકસાવવામાં આવી રહ્યો છે. તે પરિવહન, હૅન્ડલિંગ અને ગૌણ નૂર ખર્ચ ઘટાડવામાં મદદ કરશે.

AVS POST Bureau

http://avspost.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *