શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

 શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક – એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર વિશે જાણો

ઉદયભાઇ ક્રિશ્નન, યોગ સાધક(AOL)

જીવન માં વ્યાવહારિક, વ્યક્તિગત, પારિવારિક વ્યાવસાયિક કે આધ્યાત્મિક ક્ષેત્રે ઉદ્દભવતા પ્રશ્નો નું સરળ સમાધાન: ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી રચિત પુસ્તક “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર”

જયારે સહકાર્યકરો – કર્મચારીઓનું વલણ સહકારભર્યું નથી, તો આ સ્થિતિમાં પૂરી ક્ષમતા સાથે કઈ રીતે કામ કરવું? અવ્યવસ્થા અને અંધાધૂંધી ના સંજોગોમાં મન શાંત અને કેન્દ્રિત રાખીને કઈ રીતે સાચા નિર્ણય લેવા? ઈશ્વર એટલે શું? કર્મ નો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે? પ્રિયજન નાં મૃત્યુ ના દુઃખ માં થી કઈ રીતે બહાર નીકળી શકાય? પ્રેમ શું છે?

જીવનમાં આપણે અનેક વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરીએ છીએ ત્યારે આ પ્રશ્નો આપણી સમક્ષ આવીને ઉભા રહે છે. પરંતુ આ પ્રશ્નોના સાચા ઉત્તર ક્યાંથી મેળવવા તે આપણે જાણતાં નથી. આ પ્રશ્નોના ઉત્તર માટે કોના ઉપર વિશ્વાસ રાખી શકાય તે પણ આપણે જાણતાં નથી.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ, જીવનનાં અસંખ્ય પાસાંઓ ને આવરી લેતા,આવા અનેક સાચા પ્રશ્નોના ઉત્તર તથા જીવન યાત્રામાં આવતા અવરોધોને પાર કરવા સહાયરૂપ જ્ઞાન, સાત વર્ષ સુધી, પ્રતિ સપ્તાહ એક-એક જ્ઞાન પત્ર દ્વારા વિશ્વભરમાં લાખો સાધકોને પાઠવેલ છે. આ બધાં જ જ્ઞાન-પત્રો નું સંકલન , “એન ઇન્ટિમેટ નોટ ટુ ધ સિન્સિયર સીકર” નામક પુસ્તકમાં કરવામાં આવ્યું છે.

પૂજ્ય ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા રચિત આ પુસ્તકનું, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા તાજેતરમાં વિમોચન કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં જીવનનાં લગભગ બધાં જ પરિમાણોને આવરી લેવાયાં છે. સંબંધો, લોકો સાથે વ્યવહાર, શું છોડવું અને શું પકડી રાખવું, મન અને તેની વૃત્તિઓ, મનોવલણો, પ્રેમ, સૃજનાત્મક્તા, પ્રગતિ, સફળતા, કર્મ ના સિદ્ધાંતો, અહંકાર, પ્રારબ્ધ અને પુરુષાર્થ, સત્ય, ઈશ્વર જેવા અનેક પ્રશ્નોના ઉત્તર આ પુસ્તકમાં છે. જેમ કે આ પુસ્તકમાં ગુરુદેવ કહે છે કે જૂઠું બોલનાર નિર્દોષ હોય છે! તેઓ કહે છે કે જગત એક સુંદર ગિફ્ટ પેપરથી સજાવેલ ગિફ્ટ બોક્સ છે, જેની અંદર ખૂબ અમૂલ્ય ઉપહાર છે. બ્રહ્માંડનાં સૌથી સુંદર સ્થાન વિષે તેઓ વાત કરે છે અને ઈશ્વર શા માટે એક બિઝનેસમેન છે તેવું પણ તેઓ કહે છે.

અસ્તિત્વની જટિલતાને તેઓએ ખૂબ સરળ છતાં ગહન અર્થ સાથે, હળવી શૈલીમાં સમજાવી છે. ગુજરાતી રંગભૂમિનાં પ્રખ્યાત કલાકાર અભિજ્ઞા મહેતા કહે છે , “મારા મનમાં કોઈ પ્રશ્ન હોય કે દ્વિધામાં હોઉ અને આ પુસ્તકનું કોઈપણ એક પાનું ખોલીને જોઉં તો તેમાં મને મારા પ્રશ્નનો જવાબ મળી જ જાય છે.” સુપ્રસિદ્ધ સુગમ સંગીત કલાકાર સોનલ રાવલ જણાવે છે કે “ગુરુદેવ ના સરળ શબ્દો મનને તરત જ હળવું કરે છે અને હૃદયને શીતળતા પ્રદાન કરે છે.”

જેને જીવન અને તેનાં સત્યને સમજવા ની જિજ્ઞાસા છે, તેને માટે આ પુસ્તક હૃદયની સદાય નિકટ રહેતું, અંતરંગ બની રહેશે.

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે સન્માનીય આધ્યાત્મિક અને માનવતાવાદી ગુરુ છે. એક એક વ્યક્તિના ચહેરા પર સ્મિત હોય, મન તણાવમુક્ત હોય અને સમાજ હિંસામુક્ત હોય, તે ધ્યેયથી ગુરુદેવની પ્રેરણાથી, આર્ટ ઓફ લિવિંગ સંસ્થાન 155 દેશોમાં સેવારત છે. ગુરુદેવ શ્રી શ્રી એ વ્યક્તિ વિકાસ, આધ્યાત્મિક પ્રગતિ તથા દિવ્ય સમાજ નિર્માણ માટે વિભિન્ન કોર્સ ની રચના કરી છે. જેના દ્વારા લાખો લોકોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *